શુક્રવાર, 27 ફેબ્રુઆરી, 2015

એક જ દે ચિનગારી

એક દે ચિનગારી , મહાનલ
               એક દે ચિનગારી
હે પુરુષોત્તમ ! હે મહાનલ ! હે સચ્ચિદાનંદ સ્વરૂપ વિશ્વાત્મા ! હે અચિન્ત્ય !
તારી અપરંપાર અનુકંપાને લીધે હું માનવ દેહ પામ્યો  .તારી અસીમ કૃપા થી મને પ્રાણી માત્ર ને દુર્લભ એવાં મન, બુદ્ધિ , ચિત્ત ,અને અંતઃકરણ  પ્રાપ્ત થયાં  . પરંતુ આજે એક નાની શી અરજ કરવા તવ ઉન્મુખ થયો છું  . તારી આટલી આશિષ વરસવા છતાં પ્રભુ હું કોરો કેમ છું ? જીવન માં નરી  શુષ્કતા કેમ વર્તાય છે ? પરિવાર , સમાજ , કીર્તિ , લાભ-નુકશાન , સુખ -દુઃખ , હાર-જીત , આવાં તો કંઈ કેટલાંય કુંડાળાં માં જીવન ને અહીંથી તહીં અને તહીં થી અહીં ઠેબે ચડાવ્યું , પણ પાછું વળીને જોઉં છું તો લાગે છે કે જે યથાર્થ ને પામવું હતું તો રણ માં આકાર લેતા પેલા મૃગજળ ની માફક ક્યાંય  નથી  .અને ક્યાંથી હોય ? જીવન માં ભ્રાંતિ ભ્રાંતિ છે  .હે ભક્ત વત્સલ  ! ભ્રાંત જીવન માં જ્ઞાન નો પ્રકાશ ફેલાવો  . જીવન ને સાર્થક કરવા જેટલી સદબુદ્ધિ ને પામું તે સારુ જ્ઞાન ની એક જ્યોત , પ્રકાશ નું એક કિરણ મને સ્પર્શે તેટલી દયા કરો , જગન્નાથ !
હે પિનાકિન ! વર્તમાન જીવન માં બાંધેલાં પાપ અને પુણ્ય નાં પોટલાં તારા સિવાય ઉતારવા કોણ સમર્થ છે ? success  મારો જીવન મંત્ર બની રહ્યો  ભગવન ! ભૌતિક સાધન-સામગ્રી ની ઉપલબ્ધિ ઓના વાઘા પહેરાવીને જીવન ને મેં એક showcase બનાવી દીધું  .objective  happiness  ની તો જાણે મને લત લાગી , દીનાનાથ ! આમ કડીતોડ મેહનત કરી જિંદગી તો ખર્ચી કાઢી ,પણ મારી interim  desire નો ગ્રાફ તો નીચે જવાનું નામ નથી લેતો ને ! મારી intellect તો વળી સ્વાર્થ સિવાય મને કશું સૂઝવા ક્યાં દીધું ? તારી ભક્તિ કરતી વેળા પણ કશું સિદ્ધ કરવાનો ખ્યાલ તજ્યો છે ખરો ? વળી મારી આસપાસ સ્વાર્થ ની દીવાલ ચણવાનું તો હું કેટલા સહજ ભાવે કરી જાઉં છુંપેલી ઉક્તિ છે ને કે.....
उत्तीर्ण परे पारे , नौकाया: किम प्रयोजनम्  ??
નદી માંથી સામે પાર ઉતર્યા પછી નાવનું શું કામ ? હોડીની શી જરૂર ?તેથી તો સંકટોથી ઘેરાયેલો હું તારી દેદીપ્યમાન પ્રતિમા સામે જયારે કરગરું છું , ત્યારે મારા હૃદય માં નિષ્પન્ન થતા ભાવોમાં કેટલી આર્દ્રતા હોય છે ? પરંતુ મને વિહ્વળ કરનાર સમયખંડ વીતી ગયા પશ્ચાત ભાવનું બાષ્પીભવન થવામાં પણ ક્યાં વાર લાગે છે ? તું તો અંતર્યામી છે , નંદનંદન ! મારા હૃદયના ભાવને અખંડ રાખ  .હે કૌશલેય ! મારા અંતરમન માં તારા પ્રતિ વહેતું પ્રેમનું ઝરણું સદાકાળ કલકલ વહેતું રહે એવી રહેમ કર ! હે હરિહર ! મારા પૂર્ણ અસ્તિત્વથી હું તને સમર્પિત થાઉં , એવી સદબુધ્ધી દે !
હે નારાયણ !! તને તો વિદિત છે કે સંસારિક બાબતોમાં હું કેટલો વ્યસ્ત રહ્યો ? વ્યસ્તતાએ તો ક્યારેક મને ત્રસ્ત કરી મુક્યો  .કેમ કે અહીં તો પ્રભુ ! હરેક  પળે એક નવી aspiration જન્મ લેતી હોય  .દિવસ ઉગ્યો નથી ને એક concept નો છેડો પકડીને બીજો એક concept તૈયાર ઉભો હોય  .આખી જિંદગી self exposure નો સહારો લીધો ,તેમાં તો સેલ્ફ એસેસમેન્ટ કરવાનું રહી ગયું ને ? ઝાંઝવાના જળ જેવું બાહ્ય સુખ !! હા, સુખના કોથળા ભરવામાં તો મારા own conscience થી પણ હું કેટલીય વાર કતરાયો  પલાયન વાદ નો આશરો લીધો  .અરે એવું નથી કે તારી સમક્ષ આવી ને ઉભો રહી શકું એટલી લાયકાત નથી, પણ હે રાજીવલોચન ! દશગ્રીવ રાવણ નાં દરબાર માં ભૂમિ પર ચોંટેલા અંગદ ના પગ ની જેમ સાંસારિક પ્રલોભનો માં ચોટેલું મન ? મન ની લગામ મને નાં મળી, કેશવ ! હજાર વાર મારું દિલ ડંખ્યું હશે  .લાખ વાર કોઈ અદીઠ શૂળ થી અંતર વીંધાયું હશે  .પણ હંમેશ આ કુટિલ  બુદ્ધિએ કરોડ ઉપાયોથી  એનું સમાધાન પણ શોધ્યું છે  . એટલે તો માગું છું કે હે જગદીશ્વર ! મારી ભ્રમિત બુદ્ધી રૂપ જામગરીમાં તારા અફાટ જ્ઞાનરુપ દાવાગ્ની માંથી એક તણખો પડવા  દે  .સમર્પણ નો નિશ્ચય નિર્બંધ રહે, અહર્નિશ રહે, એવું કર , ત્રિલોકેશ !
હે પ્રણવ ! હે વિશ્રુતાત્મા ! હે પરાત્પર બ્રહ્મ ! હું તો ખોબો ભરવા નીકળ્યો હતો ને આજે તો બંને હાથ ભરાઈ ગયા છતાં કંઈક ખૂટે છે, કંઈક ઉણપ છે, એવું શીદ અનુભવું છું ? મારા અદ્રષ્ટ મનોભાવો માં ઉદભવિત ખેવના ઓને તારા પાવક સ્પર્શ થી ભરી દે ,વાસુદેવ ! અમિબા ની જેમ સતત વધતી એષણા ઓને પરિતૃપ્ત કરી દે ,દીનબંધુ !
પરંતુ હવે તો દેહ રૂપી કોલસામાં જરી સરખો દેવતા (અગ્નિ ) બાકી રહ્યો છે  . કાયા થથરવા લાગી છે  .શરીર ના અંગો માં ક્યારેક તો કંપ પણ અનુભવાય છે  .પણ હે મૃત્યુંજય ! હે આદિત્ય ! તને તો જાણ  છે કે થથરાટ , સ્થિરતા , જડતા , મૃત્યુ મને નથી ખપતું  .મને તો ખપે છે, ચેતનતા ,પ્રવાહિતા, ગતિમયતા, જીવંત તા  . જો કે શાશ્વત તો તારા સિવાય ક્યાં કશું છે ? તો તો એમ કહે ને કે મારી EXIT પણ ક્યારે ને ક્યારેક નક્કી છે  .ભલે ! પણ હા ! વિદાય વેળાએ , રૂપ પરિવર્તન ની ક્ષણો મારી આંતરિક પ્રામાણિકતા (inner  integrity ) મજબુત બની રહે, ડગુમગુ થતું મારું મન સ્થિર રહે , એને વિચલિતતા નો નાનો સરખોય આંચકો ના આવે, હું જરાય નિર્બળ બનું, હતાશા મારાથી સો જોજન દુર રહે, અને સદા ની જેમ હસતો હસતો ચાલી નીકળું એટલી કૃપા ચોક્કસ કરજેજો ; તેં  મને જીવન આપ્યું તેતો  મેં રાજી ખુશી થી સ્વીકાર્યું ને ? તેવી રીતે મૃત્યુ ને પણ તારા દીધેલા જ્ઞાન ના ટેકે સહજ ભાવે સ્વીકારીશ ! હે ચિદાનંદ ! એવી સમજણ હું  કેળવીશઅને  તો જ હું તારો થઇ શકીશ ને ?? હે કૃપાસિંધુ ! જીવન વાટ માં શેષ બચેલો પંથ કાપું  તે દરમ્યાન એક Right  Perspective અપનાવું , કોઈ પણ જાત ની ભ્રાંતિ ના વ્યાપથી દુર રહું તથા કૃતજ્ઞતા ના ભાવથી ઝુકેલો રહું એટલું દ્રઢ આત્મબળ પ્રદાન કરજે ! રાહે ચાલતાં ચાલતાં , મારામાં થોડીક સૌમ્યતા , થોડીક નમ્રતા , થોડુંક  સમર્પણ, થોડુંક  પાવિત્ર્ય , થોડુક આત્મ સમ્માન , થોડીક શ્રધ્ધા , થોડોક અનુરાગ ,અને થોડીક સરળતા ટકી રહે  .તેવા શુભ આશિષ આપોવીતી ગયેલા જીવન ની  હજ્જારોકરોડો છાપો(imprints)  મારા મનો મસ્તિષ્ક પર પડેલી છે  . સારી પણ અને નરસી પણ  . હે ગોપાલક ! પરમ હિતૈષી અગ્નિ દેવ ને સ્વાર્પણ કરતી વેળા મારા અવગુણો, મારી કુટિલતા , મારું અજ્ઞાન ,મારો મોહ, મારો અહંકાર , મારો રાગ, દ્વેષ, તમામ તેમાં હોમાઓ  . તથા મારા સદગુણો, કે મારી સારાશ (જો કંઈ હોય તો ), કે મારું સતજ્ઞાન, કે મારું સત્કર્મ  .......... બધું તારાં પુનીત ચરણોમાં અર્પણ  . વંદનીય સંત કબીર કહે છે ને
मेरा  मुझमें कुछ नहीं , सब कुछ तो है तेरा
   तेरा तुझको सौंपते , क्या लागे है मेरा  "
મારી હયાતી , મારા અસ્તિત્વની આસપાસ રચાયેલ અજ્ઞાન રૂપી તમસ ના ઘટાટોપ વાદળ ને ચીરીને તારા જ્ઞાનનું એક કિરણ મને સ્પર્શે , હું સત્ય ને મેળવું સત્યના સહારે અનઘ થતો થતો હું કોઈ જન્મે તવ પૂર્ણમાં સમાઈ જાઉં , આવી મનોકામના ને નિરંતર સેવું એટલી મારી બાળસહજ પ્રાર્થના નો સ્વીકાર તો તું કરશે ને પ્રજાપતિ ?
હે મહાદેવ! હે પરમાત્મન્ ! તારા જ્ઞાન રૂપી દૈવત નો અમૃતકુંભ છલકાય , તેમાંથી એક અમીછાંટો  મારા વર્તમાન અસ્તિત્વ ને પાવન કરે, એવું પાવક જીવન નું ભાથું ભરીને તારી સન્મુખ આવી ઉભો રહું , અંતઃકરણ ની અક્ષત અભીપ્સા  .અસ્તુ !!



ટિપ્પણીઓ નથી: